પીએમ મોદી સૌની યોજનાનાં કામોનું 10મીએ લોકાર્પણ કરશે
![પ્રતીકાત્મક તસવીર:પીએમ મોદી સૌની યોજનાનાં કામોનું 10મીએ લોકાર્પણ કરશે](http://cpnews24.in/wp-content/uploads/2022/10/20-3.webp)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાત દરમિયાન 10 ઓક્ટોબરે જામનગર ખાતેથી સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરશે.
આ બંને કામો કુલ 1 હજાર કરોડના ખર્ચે તૈયાર થયા છે.
નર્મદાનું પાણી સૌરાષ્ટ્રના વિસ્તારોને પહોંચાડવાની મહત્ત્વની સૌની યોજનાના લિંક-1ના પેકેજ 5 અને લિંક-3ના પેકેજ-7નું લોકાર્પણ મોદીના હસ્તે કરવામાં આવશે.
આ યોજનાના કામો પૂર્ણ થતા હવે જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં નર્મદાના પાણી પહોંચતા થશે.
સૌનીના બીજા તબક્કામાં લિંક-1ના પેકેજ-5માં 314 કરોડના ખર્ચે 66 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા 10 ડેમોમાં પાણી છોડવામાં આવશે.
જેનાથી 23 ગામોના 10,782 એકર વિસ્તારમાં સિંચાઇ અને પીવાનું પાણી મળશે.
સૌનીના ત્રીજા તબક્કામાં લિંક-3ના પેકેજ 7માં 729 કરોડ રૂપિયાના ખર્ચે 104 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા 11 ડેમમાં પાણી ભરાવાથી રાજકોટના ઉપલેટા તાલુકાના 26 ગામ, જામનગરના કાલાવાડ, જામજોધપુર, જામનગરના 20 ગામ અને દ્વારકાના ભાણવડ તાલુકાના 30 ગામો, પોરબંદરના 10 ગામોને પાણી મળશે.