નવા તાજપુરા પ્રાથમિક શાળાને રોષે ભરાયેલા લોકોએ તાળાબંધી કરી
![પ્રતીકાત્મક તસવીર:નવા તાજપુરા પ્રાથમિક શાળાને રોષે ભરાયેલા લોકોએ તાળાબંધી કરી](http://cpnews24.in/wp-content/uploads/2022/10/13-6.webp)
હાલોલ તાલુકાના નવા તાજપુરા પ્રાથમિક શાળામાં નિમણૂક પામેલ ભાષા શિક્ષિકા સેજલ ધીરેન્દ્ર કુમાર પંડ્યા છેલ્લા સાડા ત્રણ વર્ષથી તાજપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવવાની જગ્યાએ ગાંધીનગર કમાંડ એન્ડ કંટ્રોલમાં ફરજ બજાવતા હોય શાળામાં ભણતા બાળકોના અભ્યાસ પર માઠી અસર થતી.
આ અંગે શિક્ષિકાને તાત્કાલિક ધોરણે તાજપુરા શાળામાં પરત લાવવા સ્થાનિક શિક્ષણ વિભાગથી લઈ રાજ્ય શિક્ષણ મંત્રી અને સચિવને ગામલોકો અને એસએમસી કમિટી દ્વારા લેખિત રજૂઆતો કરી હતી.
તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા શુક્રવારે ગામ લોકો ભેગા થઇ જ્યાં સુધી ભાષા શિક્ષક સેજલ ધીરેન્દ્ર પડ્યા પરત ન આવે ત્યાં સુધી શાળાને તાળાબંધી કરવાનો નિર્ણય કરી શાળાને તાળાબંધી કરતા ચકચાર મચી જવા પામી છે.
શાળાને તાળાબંધીના કાર્યકમને લઈ મોટી સંખ્યામાં ગામ લોકો ભેગા થતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે શાળા ખાતે પોલીસ બન્દોબસ્ત ગોઠવી દેવાયો હતો.
મજબુર થયેલા ગામલોકોએ ના છૂટકે શાળાને તાળાબંધી કરવાની ફરજ પડતા રાજ્યની સંવેદનશીલ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરાતા મોટા દાવા આ ઘટનાએ પોકળ સાબિત કરીને મૂકી દીધા છે.
તાળબંધીની તાલુકા કક્ષાએ જાણ કરી હતી
અમારી શાળાની ભાષા શિક્ષિકા સેજલ બેન પંડ્યાની ફરજનું સ્થળ તાજપુરા પ્રાથમિક શાળા છે
તેમનું મહેકમ અહીં બોલે છે પગાર પણ અહીં થાય છે.
પરંતુ છેલ્લા સાડા ત્રણ વર્ષ થી સેજલ બેન ફરજ ન આવતા શાળાના બાળકોના અભ્યાસ પર અસર થઈ રહી છે.
તેઓ કમાંડ એન્ડ કન્ટ્રોલમાં ફરજ બજાવે છે. તેમને પરત લાવવા એસએમસી કમિટીઅે ગામલોકોની રજૂઆત સાથે રાજ્ય કક્ષાએ રજુઆત કરી હતી.
આજના કાર્યકમની જાણ તાલુકા કક્ષાએ લેખિતમાં કરી છે. – વિનેસ વાઘેલા , આચાર્ય
શિક્ષિકાની અરજી ફગાવી દીધી હતી
નવા તાજપુરા શાળા ખાતે ધોરણ 6 થી 8 માં ભાષા શિક્ષિકા તરીકે સેજલ ધીરેન્દ્ર પંડ્યાની નિમણૂક થઈ હતી.
પણ તા 1/7/2019 થી તેઓ ગાંધીનગર ખાતે કમાંડ એન્ડ કંટ્રોલમાં ફરજ બજાવતા હોય તેમને પરત લાવા ગામ લોકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી.
ગત વર્ષે શિક્ષિકા સેજલ પડ્યાએ નવા તાજપુરા પ્રાથમિક શાળામાં પોતે કમાન એન્ડ કંટ્રોલ માં ફરજ બજાવતી હોય શાળાને કોઈ વાંધો નથી તેવું પ્રમાણ પત્ર મેળવવા શાળામાં અરજી કરી હતી
પણ ગામ લોકો અને શાળાની એસએમસી કમિટીએ શિક્ષીકાની અરજી ને ફગાવી દીધી હતી.
શિક્ષક નહીં આવે ત્યાં સુધી તાળાબંધી રહેશે : ગ્રામજન
ગામની શાળામાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી ભાષા શિક્ષિકા સેજલ બેન પડ્યા આવતા નથી અત્યારના સમયમાં ભણતર કેટલું અગત્ય છે.
અમારા બાળકો ભાષા શિક્ષક ન હોવાથી હિન્દી અંગ્રેજી સહિતના વિષયો ભણી શકતા નથી.
આ અંગે અમે તાલુકા વિકાસ અધિકારી થી લઈ શિક્ષણ મંત્રી ને રજૂઆત કરી પણ કોઈ નિરાકરણ ન આવતા સરકાર સુધી અમારી વેદના પોહચાડવા અમે ગામ લોકોએ શાળાને તાળા બંધી કરી છે.
જ્યાં સુધી ભાષા શિક્ષક નહીં આવે ત્યાં સુધી તાળા બંધી રહેશે.