GNLUમાં ગરબાની રમઝટ જામી, પહેલા નોરતે અવનવાં સ્ટેપ સાથે વિદ્યાર્થીઓ ઝૂમી ઊઠ્યા

શક્તિ અને ઉલ્લાસનું પર્વ નવરાત્રિનો આજથી શુભારંભ થયો છે. ત્યારે કોરોનાકાળનાં બે વર્ષ પછી ખેલૈયા એક-એક ક્ષણનો ભરપૂર આનંદ માણી લેવા માગે છે.
ત્યારે દેશમાં વિખ્યાત ગાંધીનગર સ્થિત ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટીના વિશાળ ગ્રાઉન્ડમાં વિધાર્થીઓ તેમજ સ્ટાફ મેમ્બર્સ માટે ભવ્યાતિભવ્ય ગરબાનું આયોજન કરાયું છે.
જેમાં યુવાધન ગરબાના તાલે ઝુમીને હિલોળે ચડયું છે.
વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ ગરબાના તાલે મન મૂકીને ઝૂમ્યા
કોરોનાને કારણે બે વર્ષ સુધી મોટા મહોત્સવો પર પ્રતિબંધ રહ્યા હતા.
જોકે લાંબા અંતરાલ પછી કોરોના સંક્રમણ નેસ્તનાબૂદ થઈ જતાં આ વર્ષે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના કુલપતિ ડો. એસ શાંથાકુમાર, રજિસ્ટ્રાર જગદીશચંદ્રનાં માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીનાં વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભવ્ય નવરાત્રિ ગરબા આજે યોજવામાં આવ્યા છે.
ત્યારે યુનિવર્સિટીનાં વિધાર્થીઓ તેમજ સ્ટાફગણ યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવેલા ગરબાના તાલે મનમૂકીને ઝુમી રહ્યા છે.
ગાંધીનગરમાં ઠેર ઠેર ગરબાની મંગલ સ્થાપના કરાઈ
હિન્દુ માન્યતા પ્રમાણે અલગ અલગ વારે નવરાત્રી પ્રારંભ થાય અને માતાજીનું આગમન કયા વાહન ઉપર થાય તેના પરથી ફળ કથન આપવામાં આવે છે.
નવરાત્રીનો પ્રારંભ અને નવદુર્ગા માતાજીનું વાહનની વિગત રવિવારે તથા સોમવારે નવરાત્રીની શરૂઆત થાય તો નવદુર્ગા માતાજી હાથી ઉપર બેસીને આવે.
મંગળવારે તથા શનિવારે શરૂઆત થાય તો નવદુર્ગા માતાજી ઘોડા ઉપર સવાર થઈને આવે.
બુધવારે શરૂઆત થાય તો માતાજી હોળીમાં બેસીને આવે.
ગુરૂવારે અથવા શુક્રવારે શરૂઆત થાય તો નવદુર્ગા માતાજી પાલખીમાં બેસીને પધારે છે.
શક્તિ અને ભક્તિનો સંગમ
નવરાત્રિમાં મા શક્તિ પૂજાએ આપણી સંસ્કૃતિ છે.
નવરાત્રિ મા શક્તિ અને ભક્તિનો સંગમ થાય છે.
આ દિવસો દરમિયાન થયેલ પૂજન અર્ચન સર્વશ્રેષ્ઠ છે.
શુભ મંગળ કાર્યો કરવા તેમજ અધર્મ, આંતક, ભ્રષ્ટાચાર, જૂઠાણાવાદી સામે જજુમવા તેમજ આંતરિક કામ,લ ક્રોધાદી શત્રુઓ બાહા આસુરી તત્ત્વો પર વિજય મેળવવા માટે શક્તિ સામર્થ્ય પ્રાપ્ત કરવા ભગવતી દેવી શક્તિની ઉપાસનાના એટલે નવરાત્રિ પર્વ..
વર્ષમા ચારવાર નવરાત્રિ ઉજવણી કરાય છે
- (1) ચૈત્રી (વસંત) નવરાત્રિ: આ તહેવાર વસંત ઋતુ (માર્ચ-એપ્રિલ)માં ઊજવાય છે એને ચૈત્રી નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે જેને રામ નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
- (2) ગુપ્ત (અષાઢ) નવરાત્રિ: ગુપ્ત નવરાત્રી જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી પણ કહેવાય છે જે અષાઢ જૂન-જુલાઈ મહિનામાં શક્તિ માતૃ દેવીનાં નવ સ્વરૂપોની નવ દિવસોમાં સમર્પિત કરીને ઊજવવામાં આવે છે.
- (3) શરદ (આસો) નવરાત્રિ: આ ખૂબ જ મહત્ત્વની નવરાત્રિ છે તેને સામાન્ય રીતે મહા નવરાત્રી કહેવાય છે તેની ઉજવણી આસો મહિનામાં થાય છે તેને શરદ નવરાત્રિ પણ કહેવાય છે તેની ઉજવણી શરદ ઋતુમાં થાય છે સપ્ટેમ્બર-ઓકટોબર મહિનામાં આવે છે.
- (4) માઘ નવરાત્રિ: જે જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં શક્તિના નવ સ્વરૂપોની સમર્પિત કરવામાં આવે.
- માતાજીનાં સ્વરૂપો
- (1) શૈલપુત્રી
- (2) બ્રહ્મચારીની
- (3) ચંદ્રઘંટા
- (4) કૃષ્માંડા
- (5) સ્કંદમાતા
- (6) કાત્યાયની
- (7) કાલરાત્રિ
- (8) મહાગૌરી
- (9) સિદ્ધદાત્રી.