કચરાને રાખ કરતાં 6 માસ લાગશે, વિધાનસભામાં કૅગનો રીપોર્ટ રજૂ થતાં કચરાનિકાલની સમસ્યા ફરી ચર્ચામાં

વિધાનસભાના ચોમાસુ સત્રમાં કૅગનો રીપોર્ટ રજૂ થયો તેમાં મનપા દ્વારા ઘનકચરાનો નિકાલ વૈજ્ઞાનિક રીતે ન થતો હોવાનો ઉલ્લેખ કરાયો હતો.
આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કચરાને રાખમાં પરિવર્તિત કરી નાખતું મશીન લાવવાની મનપાની યોજના છે
પરંતુ તેમાં પણ હજી 6 મહિના લાગશે. કારણ કે મનપાએ હજી સુધી તેની ટૅન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી નથી.
મનપાની સ્થાપનાના 11 વર્ષ પછી પણ ડમ્પિંગ સાઇટ માટે જમીન નથી મળી.
બીજી તરફ નાગરિકો હજુ પણ ભીનો-સૂકો કચરો અલગ આપતા નથી.
આ બંને સમસ્યા દૂર કરવા મનપા પ્લાઝમા હીટ ડી-કમ્પોઝિશન ટૅક્નૉલૉજીના માધ્યમથી કામ કરતું મશીન લાવી રહી છે.
આ મશીનથી અંદાજે લોખંડ, કાચ અને સિરામિક સિવાયના 100 ટન જેટલા ભીના કે સૂકા કચરાને 1 ટન સિરામિક રાખમાં પરિવર્તિત કરી શકાય છે.
જોકે હજુ સુધી આ અંગે ટેન્ડર સહિતની કોઈ પ્રક્રિયા કરાઈ નથી.
જેથી ટેન્ડરની પ્રક્રિયા અને મશીન લાવવા સહિતની પ્રક્રિયામાંથી 6 મહિનાથી સમય થઈ જાય તેમ છે.
મનપા પાસે ડમ્પિંગ સાઈટ માટે કામયી જગ્યા જ નથી
2011માં મનપા અસ્તિત્વમાં આવી ત્યારથી સફાઈની જવાબદારી કોર્પોરેશન હસ્તક છે.
તે સમયે કોલવડા નજીક કચરાનો નિકાલ થતો હતો. બાદમાં 2014થી ડોર-ટુ-ડોર કલેક્શન શરૂ થતાં કોર્પોરેશને જગ્યાની માગણી કરી હતી,
જેમાં સે-30માં મુક્તિધામ પાછળ હંગામી જગ્યા અપાઈ હતી. 4-5 વખત ડમ્પિંગ સાઇટ માટે જગ્યા નક્કી કરાઈ હતી
પરંતુ દર વખતે વિરોધને પગલે નિર્ણય પડતો મૂકવો પડે છે.
ડમ્પિંગ સાઇટના મુદ્દે થયેલા વિરોધ
કોલવડામાં વિરોધ થયો હતો: મનપાની સ્થાપના સમયે કચરો કોલવડા પાસે ઠલવાતો હતો.
તે સમયે ગ્રામજનો રસ્તા પર ઊતરી આવ્યા હતા. આથી કોલવડામાં કચરો ડમ્પ કરવાનું બંધ થતાં કેટલાય દિવસો સુધી કચરો ઉપાડાયો નહોતો અને કચરાના કન્ટેનર્સ ઉભરાઈ ગયા હોવાની ફરિયાદો વધી હતી.
જેને પગલે પીંડરડા ગામની નદીના કોતરમાં ડમ્પિંગ સાઇટ બનાવવાની વિચારણા કરાઈ હતી.
જોકે વિરોધને પગલે તે પણ પડતું મુકાયું હતું.
કલોલમાં પણ ડમ્પિંગ સાઇટ માટે વિરોધ ઉઠ્યો હતો : 2017માં પેથાપુરમાં વિરોધ થતાં કલોલમાં ડમ્પિંગ સાઇટ લઈ જવાનું નક્કી કરાયું હતું.
જોકે પાસે રહેલી શૈક્ષણિક સંસ્થા અને 20થી વધુ સોસાયટીના વિરોધને પગલે કલોલમાં પણ ડમ્પિંગ સાઈટનો નિર્ણય પડતો મુકાયો હતો.
પેથાપુરમાં 2 નિર્ણય રદ થયા : 19 જૂન, 2017માં પેથાપુરની 50 એકર જમીન લેન્ડીફીલ સાઇટ બનાવવા માટે ફાળવાઈ હતી,
જેની સામે પાલિકાએ વાંધો ઉઠાવ્યો હતો.
તે સમયે ચૂંટણી પ્રચારમાં આવેલા મંત્રીઓએ ડમ્પિંગ સાઇટ પેથાપુરમાં નહીં આવે,
તેવું વચન આપ્યા પછી નિર્ણય પડતો મુકાયો હતો.
2021ની શરૂઆતમાં ફરી પેથાપુરમાં જ ડમ્પિંગ સાઇટ ખસેડવાનું નક્કી કરાતાં ફરી વિરોધ થયો હતો.