અબડાસાના રાયધણજરમાં 100 ઘેટાના મોતના આઘાતમાં માલધારીનો આપઘાત

અબડાસા તાલુકાના રાયધણજર ગામની સીમમાં 100 ઘેટાં મોતના આઘાતમાં માલધારી યુવાનને ફાંસો ખાઇ આપધાત કરી લીધો હતો. તો ભુજ ડગાળા ગામની વાડીમાં રહેતી મહિલાએ ઝેરી દવા વાળું પાણી પી લેતાં તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ અબડાસા તાલુકાના રાયધણજર ગામની સીમમાં 42 વર્ષીય કાસમ ઇસ્માઇલ ખલીફા નામના માલધારીએ ગામની સીમમાં શુક્રવારે સવારે નવ વાગ્યાથી અગ્યાર વાગ્યા દરમિયાન ચેરના ઝાડ પર રૂમાલ વડે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
કોઠારા પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરતાં હતભાગી માલધારીના તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે 100 જેટલા ઘેટાઓ મૃત્યુ પામ્યા હોઇ જેનું મનપર લાગી આવતાં આત્મઘાતી પગલુ ભરી લીધું હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
તો, ભુજ તાલુકાના ડગાળા ગામે રહેતા ડાહીબેન ગોપાલભાઈ હિરાભાઇ વરચંદ (ઉ.વ.42)એ ગત 19સપ્ટેમ્બરના સવારે દસ વાગ્યાના અરસામાં વાડીમાં કામ કરતા હતા. વખતે પાણીની તરસ લાગતાં એરંડાના પાકમાં છાંટવાની ઝેરી દવા ભેળવેલા પાણીના ઘોરીયામાંથી અજાણતાં પાણી પી લીધું હતું.
જેની ગંભીર અસર થતાં હતભાગી મહિલાને સારવાર માટે ભુજની એકોર્ડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન શુક્રવારે સવારે આઠ વાગ્યાના સમય ગાળા દરમિયાન અંતિમ શ્વાસ લીધો હતો. પધ્ધર પોલીસે બનાવની નોંધ લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હાજીપીર પાસેની કંપનીમાં બેન્ટ તૂટી જતાં નીચે પટકાયેલા બિહારના શ્રમજીવીનો જીવ ગયો
મૂળ બિહારના હાલ હાજીપીર પાસેની એમ.એમ.કંપનીમાં કામ કરતા ઓમપ્રકાસ જગદીશભાઇ ચૌધરી નામનો શ્રમજીવી ગુરૂવારે સવારે કંપનીમાં કન્વેટર બેલ્ટ પર કામ કરતો હતો. ત્યારે અચાનક બેલ્ટ તૂટી જતાં નીચે પટકાયો હતો. જેથી માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાને કારણે સારવાર પૂર્વે જ દમ તોડ્યો હતો. નરા પોલીસે બનાવની નોંધ લઇ કાર્યવાહી કરી હતી.