દેવગઢ બારીયા બસ સ્ટેશનેથી ત્રણ વર્ષથી વોન્ટેડ ઘરફોડિયાને પોલીસે ઝડપી પાડ્યો
છેલ્લા ત્રણ વર્ષથી દાહોદ, મહિસાગર અને પંચમહાલ જિલ્લામાં ઘરફોડ ચોરીના સાત ગુનામાં નાલતા ફરતા આરોપીને દાહોદ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે.
તેની સઘન પૂછપરછમા વધુ કેટલાક ગુનાના ભેદ ઉકેલી કાઢવા પોલીસ આશાવાદી છે.
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી
દાહોદ જિલ્લામાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે
તે માટે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવાની કામગીરી કરી રહી છે.
ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલી બાતમી મળી હતી કે છેલ્લા ત્રણ વર્ષથી ફરાર ચોરીનો આરોપી દેવગઢ બારીઆમા બસ સ્ટેશન ઉપર આવવાનો છે.
ફરાર ઘરફોડિયો દેખાતા જ પોલીસે દબોચી લીધો
એલસીબી પોલીસના જવાનો દેવગઢ બારીઆ બસ સ્ટેશન ખાતે વોચ ગોઠવી ઉભા હતાં.
તે જ વખતે દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં ઘરફોડ ચોરીના સાત ગુનામાં નાસતો ફરતો આરોપી નન્નુ હિમલાભાઈ કટારા (રહે. કાલીયાવાડ, હોળી ફળિયા) બસ સ્ટેશન પાસે ઉભેલો જોવા મળતાની સાથે જ પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લઈ ઝડપી પાડ્યો હતો.
દાહોદ એલ.સી.સી. પોલીસે આરોપીને દાહોદ ખાતે લાવી તેની સઘન પુછપરછ હાથ ધરી છે.
સવારે રેકી કરી રાતે ચોરીને અંજામ આપતા હતા
આ આરોપીએ દાહોદ જિલ્લામાં ધાનપુર,લીમખેડા અને દેવગઢ બારીઆ તેમજ મહીસાગર જિલ્લામા સંતરામપુર તેમજ પંચમહાલ જિલ્લામા કાલોલ વિસ્તારમાં ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યો હતો.
આ આરોપી અને તેના સાગરિત દિવસે બંધ મકાનોની રેકી કરતા હતા.
આ મકાનોને રાત્રે નિશાન બનાવી ચોરી કરતા હોવાનુ પોલીસ જણાવી રહી છે.