ઘર કંકાસથી ત્રસ્ત ડેન્ટિસ્ટ ભરૂચના કેબલ બ્રિજ ઉપરથી નર્મદામાં કૂદવા પહોંચ્યા,પોલીસે બચાવ્યા

ભરૂચના કેબલ બ્રિજ પર વડોદરાના ડેન્ટિસ્ટ નર્મદામાં મોતનો ભૂસકો મારવા પહોંચ્યા હતા.
જોકે ભરૂચ સી ડિવિઝન પોલીસની ટીમને જાણ થતાં તેમને બચાવી લેવાયા હતા.
તેઓએ પત્ની સાથે તકરાર અને ઘર કંકાસના કારણે પગલું ભરવાનો પ્રયાસ કર્યો હોવાનું કબૂલ્યું હતું.
કારેલીબાગ અમિતનગર સર્કલ પાસે બાલાજીનગર સોસાયટીમાં રહેતા ડેન્ટિસ્ટ દીપક તુલસીરામ મિશ્રાનો પત્ની સાથે ઝઘડો થયો હતો.
કેટલાક સમયથી સતત ઝઘડા અને ઘરકંકાસથી તેઓ કંટાળી ગયા હતા.
જેથી ગઇ કાલે રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં તે બાઇક લઇ આપઘાતના ઇરાદે નીકળી ગયા હતા.
તેઓએ ભરૂચના કેબલ બ્રિજ પર પહોંચી માતા-પિતા સાથે ફોન પર અંતિમ વીડિયોકોલ કર્યો હતો.
જેમાં પરિવારને તેઓ ભરૂચ હોવાની જાણ થતાં તેમણે તુરંત પોલીસને જાણ કરતાં ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમ પર મેસેજ મળ્યો હતો.
જેના આધારે ભરૂચ કન્ટ્રોલ રૂમે પણ સી ડિવિઝન પોલીસને જણાવતાં ટીમ કેબલ બ્રિજ પહોંચી હતી
અને તબીબને બચાવી પોલીસ સ્ટેશને લઇ આવી હતી. ઇ.પીઆઇ એચ.બી. ગોહિલે કાઉન્સેલિંગ કરી તેમનાં માતા-પિતાનો નંબર મેળવી તેમનો સંપર્ક કર્યો હતો.
જે બાદ તેમની પત્ની, બહેન-બનેવી ભરૂચ પહોંચ્યાં હતાં.
પોલીસે પારિવારિક તકરારો અંગે કાઉન્સેલિંગ કરી દીપક મિશ્રાનો પરીવાર સાથે મેળાપ કરાવ્યો હતો.
માતા-પિતાને વીડિયો કોલ કૂદવા જતા હતા ત્યારે જ પોલીસ પહોંચી
ડેન્ટિસ્ટ માતા-પિતા સાથે અંતિમ વીડિયો કોલ કરી બ્રિજ પરથી નર્મદામાં કૂદવા જઇ રહ્યા હત.
દરમિયાન સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના કોન્સ્ટેબલ વિષ્ણુ સેંધવ તેમજ જયંતિ સગર સહિતની ટીમ પહોંચી હતી.
તેઓ ડેન્ટિસ્ટને બચાવી પોલીસ સ્ટેશને લાવ્યા હતા.