જેસર તાલુકાના છાપરીયાળી ગામે કારખાનેદારના ત્રાસથી પરિણીતાનો આપઘાત

જેસર તાલુકાના છાપરીયાળી ગામે રહેતી બચરવાળ પરિણીતાને તે ગામમાં જ રહેતા હિરાનુ કારખાનુ ધરાવતા યુવકની સતામણી અને પોતાની સાથે સંબંધ રાખવાના દબાણ તથા માનસિક ત્રાસથી કંટાળી જાતે ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લેતા આ વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી.
જેસરના છાપરીયાળી ગામે રહેતા હરેશભાઈ બાબુભાઈ રાઠોડની પત્ની રાજુબેનને આ ગામમાં જ રહેતા અને હિરાનું કારખાનુ ધરાવતા તથા અગાઉ આ દંપતિ તેમના કારખાનામાં કામ કરતા હરી જાદવભાઈ ભીલ નામનો ઈસમ રાજુબેનને અવારનવાર સતામણી કરી તથા પોતાની સાથે સંબંધ રાખવાનું દબાણ કરી અવારનવાર માનસિક ત્રાસ આપતો હોય તેનાથી કંટાળી પરિણીતાએ પોતાના ઘરે જાતે ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો.
મૃતકે માત્ર 8 વર્ષ અને 11 વર્ષના બે પુત્રોને મુકીને આપઘાત વ્હોરી લેતા આ વિસ્તારમાં ચકચાર સાથે લોકોએ કારખાનેદાર પર ફીટકારની લાગણી વ્યક્ત કરી હતી
તથા બે બાળકો માતા વગરના બની જતા ભારે ગમગીની ફેલાઈ હતી.
કારખાનેદારના ત્રાસથી અંતિમ પગલું ભર્યાની ચિઠ્ઠી પોલીસને સોંપાઈ…
મૃતકે તેના પૂર્વ કારખાનેદાર આરોપી જાદવભાઈ ભીલ પોતાને અવારનવાર સતામણી કરી પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હોય માનસિક ત્રાસથી કંટાળી તેણે આપઘાતનું આ પગલું ભર્યું હોવાની ચિઠ્ઠી પોતાના હસ્તાક્ષરમાં લખેલી મળી આવતા મૃતકના પતિએ આ ચિઠ્ઠી પોલીસને સોંપી હતી.