ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત પાછળ સરકારે 20 કરોડ ખર્ચ કર્યો
રાજ્યની ગૌશાળામાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાના નાણાં ફાળવવા માટે આંદોલન કરવામાં આવી રહ્યા છે.
આવા સંજોગોમાં આ યોજનાનું કદ રૂ. 500 કરોડ છે અને સરકારે રૂ. 20 કરોડ જાહેરાત પાછળ વાપરી નાખ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના મુખ્ય પ્રદેશ પ્રવકતા ડૉ. મનીષ દોશીએ કર્યો છે.
તેમણે ગાયોના નામે મત લેનાર ભાજપ સરકાર ગૌમાતા માટે રકમ ફાળવે તેવી માગ કરી છે.
20 કરોડ જાહેરાત પાછળ વાપરી નાખ્યા હોવાનો આક્ષેપ
કોંગ્રેસના પ્રદેશ પ્રવકતાએ કહ્યું હતું કે, ગૌમાતા પોષણ યોજના માટે રૂ. 500 કરોડની બજેટમાં જોગવાઇની કરી દીધા પછી જાહેરાતમાં પાવરધી ભાજપ સરકારે એક રૂપિયો યોજના પાછળ ફાળવ્યો નથી.
પરિણામે ગૌશાળા સંચાલકોની આંદોલન કરવાની ફરજ પડી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ગૌશાળા-પાંજરાપોળને ગૌવંશ સાચવવામાં સહાય પેટે પ્રતિદિન એક ગૌવંશ માટે રૂ. 30 અને 1 નંદી માટે રૂ. 40 પ્રતિદિન ચૂકવવામાં આવશે તેવી મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી.
આમ છતાં હજુ સુધી એક રૂપિયો કોઈને પણ ચૂકવવામાં આવ્યો નથી.
લમ્પી વાઇરસને કારણે 36 હજાર ગાય પ્રભાવિત થઇ
ડૉ. દોશીએ કહ્યું કે, લમ્પી વાઇરસને કારણે 18 જિલ્લામાં 36 હજાર ગાય પ્રભાવિત થઇ છે,
પણ સરકાર તેને સારવાર આપવામાં નિષ્ફળ ગઇ છે.
તેમણે એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, 73,477 પશુધન પર માત્ર એક પશુચિકિત્સા અધિકારી છે ત્યારે કઇ રીતે બચશે ગૌમાતા?