પરિવારજનોનો આક્ષેપ,જસદણ પોલીસે જયને ઢોર માર મારી આપઘાત કરવા મજબુર કર્યો
જસદણમાં ATM ખોલી લાખોની ચોરી થયાની ઘટના સામે આવી હતી. આ પ્રકરણમાં હવે નવો વણાંક સામે આવ્યો છે.
જેમાં પોલીસે રાજકોટના જય ગોસ્વામીને શંકાના આધારે તપાસ માટે પોલીસ મથકે બોલાવ્યો હતો.
જે બાદ જય ગોસ્વામીએ આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો છે. મૃતક જય ATMમાં રૂપિયા ભરવાનું કામ કરતો હતો.
તેના સહિત કુલ ત્રણ લોકો પાસે જ 12 આંકડાનો કોડ હોય, ડિજિટલ લોક ખોલી રૂ.17.33 લાખની ચોરી થઈ હતી.
જેથી ચોરીની શંકાના આધારે પોલીસે તેને પોલીસ મથક ખાતે બોલાવ્યો હતો. આ મુદ્દે પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસે તેને ટોર્ચર કર્યું હોય એટલે જયપુરીએ આપઘાત કર્યો છે.
અને પરિવારે મૃતદેહ સ્વીકારવા ઈન્કાર કરતા પોલીસ સિવિલ હોસ્પિટલે દોડી ગઈ હતી.
નોંધનીય છે કે માત્ર એક કિડની પર જીવન વ્યતીત કરતા જય ગોસ્વામીએ પોતાના જન્મદિવસના એક દિવસ પહેલા મોતને વ્હાલું કરતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.
શું છે સમગ્ર મામલો
મળતી વિગત મુજબ જસદણના ખાનપર ગીતાનગર રોડ પર આવેલા બેન્ક ઓફ બરોડા શાખાના ATMનું બોક્સ ખોલી તેમાંથી રૂ.17.33ની રોકડ ચોરી કરી ગયાની ફરિયાદ જસદણ પોલીસમાં નોંધાઈ હતી.
જેમાં બેન્કના ચીફ મેનેજર પિન્ટુકુમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારી આ શાખાની બાજુમાં બેંક ઓફ બરોડાનું ATM આવેલું છે.
જેમાં ATMમાં કેશ નાખવાવાળી એજન્સી તરીકે સિક્યોર વેલ્યુ એજન્સી પાસે કોન્ટ્રક્ટ છે
અને જેમાં રાજકોટના રવીન્દ્ર ગોસ્વામી લોકેશન ઇન્ચાર્જ છે. ગત તા.15 સપ્ટેમ્બરના રોજ સાંજના 6 વાગ્યે રાજકોટ ખાતેથી કોડીયલ રવીન્દ્ર ગોસ્વામી તથા જયપુરી ગોસ્વામી બન્ને ફરિયાદ અંગે આવ્યા હતા
અને વાત કરી કે તેઓ એ ATM મશીન ખોલેલ હતું. ત્યારે મશીનમાં જેટલા પૈસા હોવા જોઇએ તેટલા પૈસા ન હતા.
આથી અમારે CCTV કેમેરા ચેક કરવા છે.
ત્રણેય ઉપર શંકા હતી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હિસાબ કરતા જાણવા મળેલ કે રૂ.17.33 લાખ ઓછા હતા.
CCTV ચેક કરતા ગત તા.06/09ના રાત્રીના કોઇ અજાણ્યો શખ્સ ATMમાં આવીને ચાવી વડે મશીન ખોલીને તેમાં પાસવર્ડ નાખીને રૂપિયા કાઢી ગયાનું કેમેરામાં રેકોડીંગ થઇ ગયું હતું.
રવિન્દ્ર ગૌસ્વામી એ મને વાત કરેલ કે, તા.06/09 ના રોજ જયપુરી ગૌસ્વામી તથા મયુર બગડા બેલેન્સ નાખવા આવ્યા હતા
અને તે અગાઉ 16/08 ના રોજ મયુરસીંહ ઝાલા તથા મયુર બગડા આવેલા હતા.
પોલીસે તપાસ કરતા પાસવર્ડ મયુરસિંહ ઝાલા, મયુર બગડા અને જયપુરી ગૌસ્વામી સિવાય બીજા કોઇ પાસેના હોય જેથી ત્રણેય ઉપર શંકા હતી.
રૂપિયા ક્યાં છે, પૂછપરછ કરી માર માર્યો
જયપુરીના પરિવારનો આક્ષેપ છે કે, તેની કોન્ટ્રાકટ કંપનીના રવિન્દ્રએ તા.16ના રોજ જયપુરીને બોલાવ્યો હતો અને પોલીસમાં નિવેદન લખાવવા જવું પડશે તેમ કહીં પોલીસ મથકે બોલાવેલ,
ત્યાં પોલીસે ટોર્ચર કર્યું અને રૂપિયા ક્યાં છે, તેવી પૂછપરછ કરી માર માર્યો હતો.
જોકે જયપુરીએ પોતાને કંઈ ખબર ન હોવાનું જ કહ્યું હતું. તેમ છતાં પોલીસે માર માર્યો હતો.
જે પછી જયપુરીના મામા વકીલ હોય, તેમને વાત કરતા તેઓ તા.17મીએ પોલીસ મથકે પહોંચ્યા હતા
અને જયપુરીને ગેરકાયદે અટક કરી રાખ્યો હોય કાયદાકીય દલીલો કરતા,
પોલીસે તેને ઘરે લઈ જવા દીધો હતો. જોકે જય ત્યારથી સુનમુન રહેતો. તેના પર આવી આળ હોય,
લાગી આવતા આજે સાંજે પોતાના ઘરે ગળેફાંસો લગાવી લીધો હતો અને મોત વ્હાલું કર્યું હતું.