હડતાળ બાદ રાજ્યમાં આજે માલધારીઓએ ગોળના લાડુ બનાવી ગાયોને ખવડાવ્યા

રાજ્યમાં માલધારીઓ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
જેમાં સરકાર દ્વારા માંગણીઓનો સ્વીકારવામાં આવતા 21મીએ દૂધ હડતાળ અને 22મીએ ગાયોને ગોળના લાડુ ખવડાવવાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી.
21 તારીખે સમગ્ર રાજ્યમાં દૂધ હડતાળ સફળ રહી હતી.
ત્યારે આજે બીજા દિવસે સમગ્ર રાજ્યમાં માલધારીઓ દ્વારા ગોળના લાડુ બનાવી ગાયોને ખવડાવવામાં આવ્યા હતા.
રખડતા ઢોરનો કાયદો સરકારે રદ કર્યો
માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આજે દુધરેજ વડવાળા મંદિર ખાતે 10 હજાર મણ લોટના ગોળના લાડુ બનાવી ગાયોને ખવડાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત આજે સમગ્ર રાજ્યમાં માલધારીઓએ પોતાની યથાશક્તિ પ્રમાણે ગોળના લાડુઓ બનાવી અને ગાયોને ખવડાવ્યા હતા.
માલધારી સમાજની માંગણી છે કે, રખડતા ઢોરનો કાયદો સરકારે રદ કર્યો છે
પરંતુ અન્ય 10 મુદ્દાઓની જે માંગણી છે તે હજી સુધી સ્વીકારવામાં નથી આવી જેને સરકાર દ્વારા સ્વીકારવામાં આવે.
છૂટક દૂધનું વેચાણ કરતી ડેરીઓ બંધ
રાજ્યમાં માલધારી સમાજ દ્વારા વિવિધ માંગણીઓ કરવામાં આવી છે.
બુધવારે માલધારી સમાજ દ્વારા દૂધ નહીં ભરવા અને વેચાણ ન કરવાની જાહેરાત કરીને દૂધ હડતાળ કરવામાં આવી હતી.
તેના પગલે સવારથી જ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં છૂટક દૂધનું વેચાણ કરતી ડેરીઓ બંધ હતી. મોટાભાગની ડેરીઓમાં દૂધ સવારથી જ આવ્યું નહોતું.
જેના કારણે દૂધના વિક્રેતાઓએ પોતાની ડેરી બંધ રાખી હતી.
શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દૂધની ડેરીઓ અને અમૂલ પાર્લર પર તપાસ કરતા અમૂલ પાર્લર પર અમૂલ દૂધનું વેચાણ થતું જોવા મળ્યું હતું.
છૂટક દૂધનું વેચાણ કરતી ડેરીઓ બંધ હતી.