મેઘપર-કું.માં યુવાન પર હુમલો: આરોપી પોલીસકર્મીનું નામ ફરિયાદમાંથી ગાયબ!
અંજાર તાલુકાના મેઘપર-કું.માં પોલીસ કર્મચારી દ્વારા સોસાયટીમાં ઉભવા બાબતે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો.
જેમાં યુવકને સામાન્ય ઈજા પણ પહોંચી હતી. આ બનાવની જાણવાજોગ નોંધમાં આરોપી પોલીસકર્મીનું નામ અને ધારિયાથી હુમલો કરાયાની નોંધ કરાઇ છતાં FIRમાં પોલીસકર્મીનું નામ ગાયબ થઇ જતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.
આદિપુરમાં રહેતા 28 વર્ષીય જખુ શીવજીભાઇ મહેશ્વરીએ નોંધાવેલી ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ફરિયાદી યુવક તેના મિત્ર કેયુરભાઈ ઠક્કરને તેમના ઘરેથી લઈ આદિપુર બસ સ્ટેશન મુકવા જવા માટે કેયુરના ઘર પાસે રાહ જોઈ ઉભો હતો
ત્યારે આરોપી પોલીસવાળાએ આવીને અહીં કેમ ઉભા છો તેમ કહી ઉશ્કેરાઈને ગાળો આપી પોતાની સફેદ કલરની આઈ -20 કાર માંથી ધારીયું કાઢી ફરિયાદી અને તેની સાથે ઉભેલા મિત્ર સચિન પટેલને મારવા જતા ફરિયાદીએ પોતાનો બચાવ કરી લીધો હતો અને પડી જતા સામાન્ય ઈજા પહોંચી હતી.
જે બનાવ બાદ યુવકને સારવાર હેઠળ ખસેડવામાં આવતા ત્યાં યુવકે જણાવ્યા મુજબ પોલીસકર્મી નાનજીભાઈ ચાવડાના નામજોગ અને તેમણે ધારિયા વડે હુમલો કર્યો હોવાનું જણાવતા અંજાર પોલીસ મથકે નોંધ પણ કરાઇ હતી.
પરંતુ સાંજ પડતા જ જયારે ફરિયાદ નોંધાઈ ત્યારે આરોપી પોલીસકર્મીનું નામ ગાયબ થઇ જતા પોલીસે નામ છુપાવ્યું હોવાના તેમજ કલમો હળવી કરી નાખી હોવાના આક્ષેપો પણ ઉઠ્યા હતા.
જેવું યુવકે લખાવ્યું તેવી જ FIR નોંધાઈ છે-પી.આઈ.
આ અંગે અંજાર પોલીસ મથકના પી.આઈ. એસ.ડી. સિસોદિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ફરીયાદી યુવકે પહેલા હોસ્પિટલમાં જયારે જાણ કરી ત્યારે તે મુજબની જ જાણવાજોગ દાખલ કરી છે.
જે બાદ જયારે FIR નોંધી ત્યારે પણ જે પ્રકારે યુવકે લખવી તે રીતે જ લખવામાં આવી છે.
જે ફરિયાદ યુવકે વાંચી અને એ પછી સહી પણ કરી છે.