ત્રીજા નોરતે પાવાગઢ મંદિરે 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યાં
પાવાગઢમાં બે વર્ષ બાદ આસો નવરાત્રીની રંગે ચંગે ઊજવણીનો પ્રારંભ થયો છે.
નવરાત્રીના પ્રથમ નોરતે જ ચાર લાખ યાત્રાળુઓનું ઘોડાપુર ઉંમટયુ હતું.
બીજા નોરતે માત્ર એક લાખ યાત્રાળુઓ આવતા તંત્રને હાશકારો થયો હતો.
ગુરૂવારે ત્રીજા નોરતે મંદિર ટ્રસ્ટ દ્વારા સવારે ચાર કલાકે માતાજી મંદિરના નિજ દ્વાર ખુલ્લા મૂકી દેતા બે લાખ ઉપરાંત યાત્રાળુઓ માતાજી ના દર્શન કર્યા હતા.
પાવાગઢ ખાતેની રોપવે સેવા પણ રાત્રે ત્રણ કલાકે ટીકીટ બુકીંગ કરી ચાર વાગે સેવા શરૂ કરી દેવાઈ હતી.
મંદિર પરિસર મોટું થઈ જતા મોટી સંખ્યામાં આવેલ યાત્રાળુઓએ સરળતાથી દર્શન કર્યા હતા.
રાત્રી દરમ્યાન પાવાગઢ માતાજીના મંદીર વિવિધ કલરની લાઇટોથી સુશોભીત થયું હતુ.
યાત્રાળુઓની સુરક્ષા અને સલામતી માટે જિલ્લા પોલિસ તંત્ર દ્વારા પંચમહાલ દાહોદ અને મહીસાગરની 800 ઉપરાંત પોલીસ ખડે પગે ફરજ બજાવી રહી છે.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી ઈવીઅેમ તથા વીવીપેટ નિર્દશન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
શ્રદ્ધાળુઓનો ધસારો વધતાં એસટી વિભાગે વધુ 10 બસો ફાળવી
પંચમહાલ જિલ્લામાં આવેલુ પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાત નવરાત્રી દરમિયાન કલેકટરના જાહેરનામા મુજબ માચી જતા ખાનગી વાહનો માટે પ્રતિબંધ મુક્યો છે.
ત્યારે ગોધરા એસટી વિભાગ દ્વારા 50 બસોની વ્યવસ્થા કરી હતી.
પણ બે દિવસમાં એસટી વિભાગના અણઘડ વહીવટનો ભોગ હજારો યાત્રાળુઓ બનતા યાત્રાળુઓને પડેલી વેદના અંગેનો અહેવાલ દિવ્યભાસ્કરે પ્રસિદ્ધ કરતા સફાળા જાગેલા એસટી વિભાગે બુધવારે વહેલી સવારથી વધુ 10 બસો વધારી કુલ 60 બસો મૂકી હતી.
દરેક બસોમાં જીપીએસ સિસ્ટમથી સજજ કરેલ છે સાથે મિકેનિક સ્ટાફ સુપરવાઇઝર અને લગભગ 250 જેટલા અધિકારી કર્મચારી સ્ટાફ પાવાગઢ ખાતે ખડેપગે સંચાલન કરવા માટે ઉભા રાખવામાં આવ્યા હોવાનું દેખાયું હતું .
ગોધરા વિભાગીય પરિવહન અધિકારી એમ એચ સોલંકી ના જણાવ્યા અનુસાર ગોધરા એસટી ડિવિઝનમાં આવતા સાત ડેપો પૈકી ગોધરા 9 ,દાહોદ 7, સંતરામપુર 7 ,હાલોલ 12 , ઝાલોદ 7, દેવગઢ બારીયા 9 તથા લુણાવાડા ડેપોની 9 બસો દોડાવી હતી. પાવાગઢ ખાતે ખાસ કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યા છે.
સાથે સાથે સમિયાણો પણ બનાવવામાં આવ્યો છે.
જરૂર જણાશે તો સાતમ આઠમ તથા રજાના દિવસોમાં ટ્રાફિક વધારે હશે તો બસો વધારે મૂકવામાં આવશે.