માતાજીએ પ્રસન્ન થઈને કહ્યું, ‘હું ગઢકાલિકા છું, મને ગઢ જોઈએ’ અને સિદ્ધરાજ જયસિંહે બે ગઢ બંધાવ્યા, પછી માતાજી સ્વયંભૂ પ્રગટ થયાં

પાટણમાં નગરદેવી શ્રી કાલિકા માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે. ગુર્જરનરેશ સિદ્ધરાજે શ્રી કાલિકા માતાજીની ઉગ્ર આરાધના કરી હતી. ત્યારે માતાજીએ પ્રસન્ન થઈને કહ્યું હતું કે હું ગઢકાલિકા છું,
મને ગઢ જોઈએ, જેથી સિદ્ધરાજે અહીં બે ગઢ બંધાવ્યા હતા. એ ગઢમાંથી માતાજી સંપૂર્ણ મુખારવિંદ સાથે સ્વયંભૂ પ્રગટ થયાં હોવાની લોકવાયકા છે.
સમગ્ર ભારતમાં માત્ર પાટણમાં જ શ્રી કાલિકા માતાજીનાં સંપૂર્ણ મુખારવિંદનાં દર્શન થાય છે.
કાલિકા માતાજી પોતાના મુખમાં 34 પ્રકારના મરી- મસાલા ધરાવતું પાન 24 કલાક રાખે છે,
જે પ્રસાદ રૂપે ભક્તોને આપવામાં આવે છે.
આ મંદિરમાં ચૈત્રી તથા આસો નવરાત્રિ તેમજ દિવાળી સહિતના તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
પાટણ સિદ્ધરાજના શાસનકાળમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિથી છલોછલ હતું
સોલંકી વંશના મહાપ્રતાપી, પરદુ:ખ ભંજન દુર્દાન્ત યુદ્ધવીર અને દેવાંશી ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહ ( ઈ.સ. 1094થી 1143 )ના શાસનકાળ દરમિયાન અઢાર માઈલનો ઘેરાવો ધરાવતું પાટણ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી છલોછલ હતું.
વિખ્યાત જૈન મુનિ અને એ સમયના સિદ્ધરાજના સલાહકાર હેમચંદ્રાચાર્યે પોતાના ગ્રંથ’ દયાશ્રય’ના જે સર્ગમાં સિદ્ધરાજના માલવ વિજયનું નિરૂપણ કર્યું છે
એ મુજબ સિદ્ધરાજને ઉજ્જૈનમાં બિરાજતાં પોતાનાં ઈષ્ટદેવી શ્રી કાલિકા માતાજીનાં પૂજન- અર્ચન માટે ઉજ્જૈન જવું હતું ,
પરંતુ ઉજ્જૈન માલવપતિના તાલે હતું, તેથી સિદ્ધરાજે માળવા તરફ લશ્કરી કૂચ કરી અને ધારાનગરીનો દુર્ગ જીતી માળવાના રાજા યશોવર્માને કેદ કર્યો હતો.
સિદ્ધરાજે આરાધના કરી માતાજીને પાટણ આવવા માટે હઠ પકડી
શ્રી કાલિકા માતાજીનાં પૂજન- અર્ચન કર્યા પછી તેમણે ઉગ્ર આરાધના કરી, ખૂબ કાકલૂદી કરી અને માતાજીને પાટણ આવવા માટે હઠ પકડી હતી.
શ્રી માતાજીએ પ્રસન્ન થઈ કહ્યું, ‘હું ગઢકાલિકા છું, મને ગઢ જોઈએ,’ જેથી સિદ્ધરાજે પાટણમાં બે ગઢ બંધાવ્યા હતા.
શ્રી માતા કિલ્લા (ગઢ)માંથી સંપૂર્ણ મુખારવિંદ સાથે સ્વયંભૂ પ્રગટ થયાં, જે હાલ અહીં બિરાજમાન છે.
સંપૂર્ણ મુખારવિંદ શબ્દપ્રયોગ એટલા માટે કર્યો કે પાવાગઢમાં બિરાજમાન શ્રી કાલિકા માતાજી નેત્રો ( આંખ ) સુધીનાં, કોલકાતાના કાલીઘાટમાં નાસિકા(નાક) સુધીનાં અને ઉજજૈનમાં બિરાજતાં ગઢકાલિકાનાં અપૂર્ણ મુખારવિંદનાં દર્શન થાય છે.
તમામ તહેવારોની ધામધૂમથી ઉજવણી
જ્યારે સમગ્ર ભારતમાં માત્ર પાટણમાં જ શ્રી કાલિકા માતાજીનાં સંપૂર્ણ મુખારવિંદનાં દર્શન થાય છે.
સિદ્ધરાજ જયસિંહ સંસ્થાપિત (ઈ.સ. 1123 ) આ અતિપ્રાચીન મંદિરને આજે 896 વર્ષ થયાં છે.
પાટણના નગરદેવી તરીકે પૂજાતા શ્રી માતાજીની સેવા – પૂજામાં સેવારત અત્યારે આઠમી પેઢી છે.
અહીં ચૈત્રી તથા આસો નવરાત્રિ તેમજ દિવાળીના તમામ તહેવારો ધામધૂમથી ઊજવાય છે
તેમજ લોકમેળા ભરાય છે. વર્ષ દરમિયાન પાટણની તમામ જ્ઞાતિ તરફથી અલગ-અલગ નક્કી કરેલી તિથિ પ્રમાણે હોમ-હવન અને ઉજવણી થાય છે.
આસો માસની દુર્ગાષ્ટમીના રોજ સંધિપૂજા તથા કાળીચૌદશના રોજ કાલીપૂજાનું અહીં વિશેષ મહત્ત્વ છે.
મંદિરની વિશેષતા
આ મંદિરની વિશેષતા એ છે કે અહીં શ્રી કાલિકા માતાજીના સામીપ્યમાં અષ્ટાદશભુજ ( અઢાર હાથ)વાળાં શ્રી ભદ્રકાળી માતાજી પણ બિરાજમાન છે.
ચંડીપાઠના વૈકૃતિક રહસ્યના શ્લોક નં. 10, 11 તથા 12માં આ માતાજીની મૂર્તિના નખશિખ વર્ણન પ્રમાણે આ શ્રી મહાલક્ષ્મી માતાજી છે,
જેમનું પારલૌકિક સ્મિત ધરાવતું મુખારવિંદ ખૂબ જ દેદીપ્યમાન લાગે છે.
તેમની બાજુમાં સન 1433માં પ્રગટ થયેલાં શ્રી ક્ષેમંકરી માતાજી પણ અહીં બિરાજમાન છે,
જે માતાજી પાટણથી ભિનમાલ ગયાં છે અને સમગ્ર રાજસ્થાનમાં આજે ખીમજ માતા તરીકે પૂજાય છે,
તેમની પણ બાજુમાં નવદુર્ગાના નવાકોમાં શ્રી મહિષાસુરમર્દિની બિરાજમાન છે.
સિદ્ધરાજના શાસનકાળ દરમિયાન રચાયેલા સરસ્વતી પુરાણમાં કેશવ માધવ વ્યાસ કહે છે
અર્થાત એ ઉત્તમ તીર્થ છે, જ્યાં આદ્ય મહાલક્ષ્મી તથા મહાકાલી વગેરે દેવીઓનું નિવાસ છે.
ભક્તોને પ્રસાદમાં અપાઈ છે પાન
રાજા સિદ્ધરાજે સ્થાપિત કરેલાં નગરદેવી શ્રી કાલિકા માતાજી પોતાના ખુલ્લા મુખમાં 34 પ્રકારની મરી મસાલા ધરાવતું પાન 24 કલાક રાખે છે,
એ પાન પ્રસાદરૂપે ભક્તોને મળે છે.
સળગતી સગડીનાં દર્શન માટે ભક્તો ઊમટી પડે છે
પાટણ શહેરના નગરદેવી કાલિકા માતાજી મંદિર ખાતે લાભપાંચમના દિવસે સાજે માતાજીના કિલ્લા પર સળગતી સગડી (ખપ્પર) ચઢાવવામાં આવે છે.
આ વાતાવરણમાં અને આ સંસારમાં જે કોઈ અનિષ્ટ તત્ત્વોનો નાશ કરવા માટે આ સળગતી સગડી માતાજી પોતાના શિર પર ધરે છે,
જેના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઊમટી પડે છે.
ત્યાર બાદ ભવ્ય આતશબાજી કરવામાં આવે છે એનો નજારો જોવા માટે લોકોની ભારે ભીડ એકત્રિત થાય છે.
આમ, પાટણના પ્રાચીન નગરદેવી મહાકાળી માતાજીના મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામા આવે છે.
પાટણની પુણ્યશાળી ભૂમિ પર બિરાજમાન નગરદેવી મહાકાળી માતાનું મહત્ત્વ વિશેષ વધી જાય છે.