ભોગાત પંથકમાં વીજધાંધિયાથી સ્થાનિક લોકો ત્રાહિમામ બન્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત તથા આજુબાજુ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજ ધાંધિયાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
જયારે આ અંગે સ્થાનિકો દ્વારા પીજીવીસીએલ કચેરીમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવ્યા છતાં છેલ્લા આઠ દિવસથી અડધો દિવસ ને આખો દિવસ સુધી વીજળી ગુલ થતી હોવાનો આક્ષેપ પણ સ્થાનિક લોકોએ કર્યો છે.
ભોગાતના સ્થાનિક આગેવાન નલીનભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, ભોગાત ગામ તથા આજુબાજુ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પ્રશ્નએ માઝા મુકી છે.
ભોગાત ગામમાં લાંબા પી.જી.વી.સી.એલ. કચેરી હેઠળથી વીજળી આપવામાં આવે છે.
જેની જૂની લાઈનો અને નબળા વાયરના કારણે અવારનવાર વીજ ફોલ્ટ સર્જાય છે.
વારંવાર ફોલ્ટ થતા આ અંગે વિજ કચેરીમાં અનેકો વખત રજૂઆતો કરવામાં આવી છે.
કંમ્પ્લેઇન નંબર તથા અધિકારીઓને ફોન કરવામાં આવે છે તો ફોન રિસીવ નથી તથા અથવા તો યોગ્ય પ્રત્યુત્તર નથી મળતો ભોગાત ગામમાં આઠ દિવસ જેટલો સમયથી અડધો દિવસને આખો દિવસ એમ લાઈટ ગુલ છે.
જેના કારણે ગામમાં એસબીઆઈ તથા એક્સીસ બેંકના એટીએમ બંધ હાલતમાં હોવાથી લોકોને રૂપિયા ઉપાડવા બાબતે પણ સમસ્યા રહે છે.
તેમજ વીજ પુરવઠામાં વારંવાર વધઘટ પાવરના કારણે વીજ ઉપકરણોને વારંવાર નુકશાની થવા પામેં છે.
આ સમસ્યા મુદદે ભાટિયા વિજ કચેરી ખાતે રજૂઆતો પણ કરવામાં આવી છે.
છતાં હજુ સમસ્યાનો હલ નથી થતો તેમજ ભોગાત દ્વારકા હાઇવે પર 400 કે.વી.નું અદ્યતન વીજ સબ સ્ટેશન બનાવામાં આવ્યું છે.
પરંતુ હજુ ચાલુ કરવામાં નથી આવ્યું, ચાલુ કેમ નથી કરતા તે પણ સવાલ છે એમ સ્થાનિકોમાં ચર્ચાય રહયુ છે.
અવારનવાર સર્જાતા વીજ ધાંધિયાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ મિશ્રિત આક્રોશ છવાયો છે.
ભાટિયા ગામમાં પણ અવાર નવાર વીજળી ગુલથી લોકો ત્રસ્ત બન્યા
ભાટિયા ગામે પણ ચોમાસા દરમિયાન વિજ ધાંધિયાએ માઝા મુકી છે.
જેમાં કોઈ જ પ્રકારની પ્રિમોન્સૂન કામગીરી તંત્ર દ્વારા કરવમાં જ ન આવી હોવાના આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા હતા.
કેટલીક વખત તો પાંચ થી દશ વખત વીજળી ગુલ થઈ જતી હોય,ચોમાસાની રાત્રીમાં મચ્છરના ઉપદ્રવોથી લોકોએ ભોગવવું પડી રહ્યું છે.
આજુબાજુના 55 ગામોનું ખરીદીનું કેન્દ્ર ભાટિયા હોય,વ્યાપાર ધંધા ને વીજધાંધિયા અસર કરી રહ્યા છે જો કે,વિજ તંત્રના અધિકારીઓ ઓળખીતા ઓ ના જ કોલ રિસીવ કરતા હોય,
અન્ય ગ્રામજનો ને ઉડાઉ જવાબ આપતા હોવાના પણ ગ્રામજનો દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે.