સાબરમતીના યુવકે પત્ની-સાસરિયાંના ત્રાસથી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો
સાબરમતીમાં રહેતા યુવકે તેની પત્ની-સાસરિયાંના ત્રાસથી ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
યુવક પાસેથી સુસાઈડ નોટ મળી આવતા મૃતકના ભાઈએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં મૃતકની પત્ની-સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
ચાંદખેડામાં ધીરજ પરમાર પોતાના પરિવાર તથા ભાઇ અશોક પરમાર સાથે રહે છે.
અશોકના લગ્ન પાટણમાં રહેતી ભારતી સાથે થયા હતા, જો કે લગ્ન બાદ બંને વચ્ચે ઝઘડા થતાં થોડા દિવસ પહેલાં જ ભારતી પિયર જતી રહી હતી.
દરમિયાન શુક્રવારે ધીરજભાઈ નોકરીએથી આવ્યા ત્યારે અશોક ઘરે હાજર ન હોઇ,
તેને ફોન કર્યો, પરંતુ ફોન લાગતો ન હોઇ તેઓ સાબરમતી ઈન્દિરાનગર પાસેના ઘરે જઈને જોયું તો અશોક ધાબાની સીલિંગ સાથે સાડી બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
ત્યારબાદ ધીરજભાઈએ પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માતે મોત થયાનો ગુનો નોંધ્યો હતો.
અશોકની અંતિમવિધિ બાદ ધીરજને તેના ઘરમાંથી અશોકના હાથે લખેલી સુસાઈડ નોટ મળી આવી હતી.
જેમાં લખ્યું હતું કે,‘ધનોરા ગામના તમામને મારું કેવાનું કે મારા પરિવારનો કોઈ દોષ નથી, મારા સાસરી પક્ષનો વાંક છે.
એમણે એમની દીકરીને સમજાવી જ નથી. અંતે કંઈ સમજણ આપી હોત તો મારે આવું કરવાની જરૂર ના પડત.
હું મારી પત્ની ભારતી સહિતના સાસરિયાંના કારણે આ પગલું ભરું છું.
’ આ અંગેની જાણ ધીરજભાઈને થતા તેમણે સાબરમતી પોલીસ સ્ટેશનમાં મૃતક અશોકની પત્ની-સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.