મહીસાગરના ખાનપુરમાં આવેલ ભાદર ડેમ ફરી છલકાયો, ડેમનો 1 ગેટ ખોલી પાણી છોડાયું
મહીસાગર જિલ્લામાં ચાલુ વર્ષે સારો વરસાદ વરસી રહ્યો છે, તેવામાં ખાનપુર તાલુકામાં આવેલ ભાદર ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે.
ત્યારે આજે સવારે ફરીથી ડેમમાંથી ભાદર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.
ભાદર ડેમનો 1 ગેટ ખોલી ભાદર નદીમાં પાણી છોડાયું
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ ભાદર ડેમના ઉપરવાસ અને ડેમના કેચમેટ વિસ્તારમાં વરસી રહેલા સારા વરસાદના પગલે ભાદર ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે.
તેવામાં ડેમનું રુલ લેવલ જાળવવા માટે ડેમ પ્રસાસન દ્વારા હાલ ડેમનો 1 ગેટ 30 સેન્ટિમીટર ખોલીને ભાદર નદીમાં 1017 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
જેની સાથે ડેમનું હાલનું લેવલ 123.72 મીટર પર પહોચ્યું છે અને ડેમનું કુલ લેવલ 123.72 છે.
ઉપરવાસમાંથી ડેમમાં 1017 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે.
જેથી ડેમનું રુલ લેવલ જાળવવા માટે જેટલા પાણીની આવક થઈ રહી છે, તેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે.
ભાદર ડેમ છલકાતાં જિલ્લાના ત્રણ તાલુકાના ખેડૂતોને ફાયદો
ભાદર ડેમ સતત ઓવરફ્લો થતા ભાદર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
જેના કારણે ભાદર નદી હાલ બે કાંઠે વહી રહી છે. તો બીજી બાજુ ભાદર ડેમ છલકાતાં મહીસાગર જિલ્લાના ખાનપુર લુણાવાડા અને વીરપુર તાલુકાના ખેડૂતોને તેનો ફાયદો થશે.
ભાદર ડેમ આ ત્રણે તાલુકામાં 8 હજાર હેકટર જમીનમાં પાણી પહોંચાડે છે.
જેથી ડેમ 100% ભરાતાં ખેડૂતોમાં હાલ ખુશી જોવા મળી રહી છે.