દાહોદ જિલ્લામાં અકસ્માતોની વણથંભી વણઝાર, બે માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા

દાહોદ જિલ્લામાં બે જુદા જુદા સ્થળે માર્ગ અકસ્માતના સર્જાયેલ બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાં હતા.
પોલીસે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફતેપુરાના વાંગડમા બે બાઈક ભટકાતા એક ચાલકનુ મોત
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ફતેપુરા તાલુકાના વાંગડ ગામે બન્યો હતો.
જેમાં એક અજાણ્યા મોટરસાઈકલના ચાલકે પોતાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી જઈ રહ્યો હતો.
તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા ફતેપુરા તાલુકાના સલરા ગામે ડામોર ફળિયામાં રહેતાં ભરતભાઈ ભલાભાઈ પારગીની મોટરસાઈકલને અડફેટમાં લઈ જોશભેર ટક્કર મારતાં ભરતભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં.
જેને પગલે તેઓને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે ઉમેશભાઈ ભરતભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોટી ઢઢેલીમાં ઈક્કો ઝાડ સાથે ટકરાતા એક મુસાફરનુ મોત
માર્ગ અકસ્માતનો બીજો બનાવ ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલી ગામે બન્યો હતો.
જેમાં એક પેસેન્જર ભરેલ ઈક્કો ગાડીના ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ પસાર થઈ રહ્યો હતો.
તે સમયે અચાનક ગાડીના ચાલકે સ્ટીઅરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ગાડી નજીકમાં આવેલા એક ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
જેને પગલે અંદર સવાર ગાડીનો ચાલકને શરીરે ઈજાઓ પહોંચી હતી.
જ્યારે મુસાફર ભરતસિંહ અને સોનસિંહ કુબેરસિંહ ચૌહાણ (રહે. વાટારામપુર, તા. મોડાસા, જી. અરવલ્લી) ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં સોનસિંહનું શરીરે ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યું હતું.
જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.
આ સંબંધે વાટારામપુર ગામે રહેતાં જીગરસિંહ અજમેલસિંહ ચૌહાણે સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.