મફત વીજળીની સુવિધા સાથે ગુજરાતની પ્રજાને નિ:શુલ્ક અયોધ્યા દર્શનનું વચન

દાહોદ શહેરમાં અરવિંદ કેજરીવાલની જનસભામાં જંગી મેદની ઉમટી હતી. કેજરીવાલ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ આવ્યા હતાં
અને ગુજરાતમાં આપની સરકાર બનવાનો વિશ્વાશ વ્યક્ત કરીને બંનેએ વીજળી સહિતની વિવિધ સુવિધાઓ નિ:શુલ્ક આપવા સાથે ગુજરાતની પ્રજાને નિ:શુલ્ક અયોધ્યા દર્શનનું વચન આપ્યુ હતું.
દાહોદના કોલેજ ગ્રાઉન્ડ ઉપર શનિવારે યોજાયેલી જનસભામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જય જોહાર સાથે પોતાનું વક્તવ્ય શરૂ કર્યુ હતું.
તેમણે જણાવ્યુ હતુ કે, આઇબીનો રિપોર્ટ આવ્યો છે આપ પાર્ટીને 94 સીટો મળી રહી છે.
1 ડિસેમ્બરે સરકાર બનશે તો પ્રથમ કામ ભ્રષ્ટાચાર ખતમ કરવાનું કરીશું. કેજરીવાલ રેવડી વહેંચે છે
તેવી ગાળો અપાય છે પણ સરકાર બન્યા બાદ માર્ચથી તમારા ઘરે શૂન્ય બિલ આવતું થઇ જશે.
ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરી નીકળશે. સરકારી શાળા સારી કરીશું, ફી વધારતી ખાનગી શાળાઓને ઠીક કરીશું.
ગુજરાતમાં 20 હજાર મહોલ્લા ક્લિનીક ખોલીશું અને ગુજરાતની પ્રજાને અયોધ્યાના નિ:શુલ્ક દર્શન કરાવવાની વાત કરી હતી.
સાત વર્ષમાં અમે દુઆઓ જ મેળવી છે અને તેન અસરથી દિલ્હી પંજાબ બાદ હવે ગુજરાતમાં પણ જીતીશું તેમ જણાવ્યુ હતું.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ પોતાના પંજાબી લહેજામાં કીચડમાં ઉગનાર કમળને ઝાડુથી સાફ કરવાની વાત સાથે કોંગ્રેસ કોમામાં હોવાનું જણાવ્યુ હતું.
દીવાલો ઉપર પણ ચિતરામણ કરી દેવાયું: દાહોદમાં જનસભા પહેલાં જ ‘કેજરીવાલ ગો બેક’ના બેનરો લાગ્યા
દિલ્હીની AAP સરકારના મંત્રી રાજેન્દ્ર પાલે શુક્રવારે ધર્મપરિવર્તન અંગેના વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ વિરોધના ભાગ રૂપે વિવિધ શહેરોમાં ‘હું ઈશ્વરને માનીશ નહીં’ તેવા લખાણ સાથે કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેનાં બેનર લગાવાયા હતા.
ત્યારે શનિવારે અરવિંદ કેજરીવાલની જનસભા પહેલાં દાહોદ શહેરમાં પણ કેજરીવાલ ગો બેકના બેનરો લાગતાં ખળભળાટ મચી ગયો હતો.
દાહોદ શહેરમાં શનિવારે આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માનની જનસભા યોજાય તે પહેલાં જ દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં ‘હિન્દુ વિરોધી કેજરીવાલ, ગો બેક’ના બેનરો લાગ્યા હતાં.
આ સાથે ઓવરબ્રિજ સહિતની દિવાલો ઉપર પણ આ સૂત્ર ચિતરી દેવાયા હતાં.
વાતાવરણ બદલાતા બાય રોડ વડોદરા જવું પડ્યુ
અરવીંદ કેજરીવાલ અને ભગવંત માન વડોદરાથી હેલીકોપ્ટર દ્વારા દાહોદ આવ્યા હતાં.
સભા પૂર્ણ થાય તે પહેલાં વાતાવરણમાં પરિવર્તન આવતાં આકાશમાં વાદળો છવાઇ ગયા હતાં.
ત્યારે વાતાવરણ બદલાવવાને કારણે હેલીકોપ્ટર ઉડાવવાની પરવાનગી નહીં મળતાં અરવીંદ કેજરીવાલ અને ભગવંત માનને કારમાં વડોદરા જવું પડ્યુ હતું.