જમાલપુરમાં યુવકે સગાઈ તૂટતાં ઝઘડો કર્યો, યુવતીના પિતાએ છરીના 4 ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ગત મોડી રાત્રે યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે.
સગાઈ તોડી નાખ્યાની અદાવત રાખીને યુવક યુવતીના ઘરે પહોંચ્યો અને બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યો હતો.
યુવતીના પિતાએ તેને છરીના 4 ઘા મારીને હત્યા કરી દીધી છે.
સારવાર દરમિયાન યુવકને મોત
શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલ કાચની મસ્જિદ પાસે ગત મોડી રાત્રે હત્યાનો બનાવ સામે આવ્યો છે.
જમાલપુર વિસ્તારમાં આવેલી જુના ડુંગરાપુરા ખાતે રહેતો શોએબ અને સલીમ વોરા વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતાં સલીમ વોરાએ તેની પાસે રહેલી છરી વડે શોએબને ત્રણથી ચાર છરીના પેટમાં, છાતીમાં તેમજ પીઠના ભાગે મારી દેતા શોએબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
જેને તાત્કાલિક સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જો કે સારવાર દરમિયાન તેનું મૃત્યુ હતું.
જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.
એકાદ વર્ષ પહેલા સગાઈ તૂટી ગઈ હતી
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, મૃતક શોએબની સગાઈ આરોપીની દીકરી સાથે થઈ હતી.
જો કે એક વર્ષ અગાઉ કોઈ કારણોસર સગપણ તોડી નાખવામાં આવી હતી.
જેને લઈને શોએબ યુવતીના ઘરે ગયો હતો અને બોલા ચાલી ઝઘડો કરવા લાગ્યો હતો.
જોકે આરોપી સલીમ વોરા અને મૃતક શોએબ બંને બોલાચાલી કરતા કરતા કાચની મસ્જિદ પાસે પહોંચ્યા હતા.
જ્યાં બંને વચ્ચે મારામારી થતાં સલીમ વોરાએ શોએબને એક પછી એક છરીના ઘા મારતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
જે અંગેની જાણ તેણે તેના માતાને કરતા તેના માતા પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને શોએબને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડ્યો હતો.
આરોપી સામે ફરિયાદ
સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા જ અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો
અને આરોપી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.